દાન કોને આપવું જોઈએ ?
દાન યોગ્ય પાત્રને આપવું.
દાનને યોગ્ય પાત્ર કોણ?
ભૂખ્યા,તરસ્યા,વસ્ત્રવિહિન,રોગી,આર્ત,અનાથ અને ભયભીત પ્રાણીઓને અન્ન,જળ,વસ્ત્ર,આજીવિકા માટે ધન,ઔષધ,આશ્વાસન,આશ્રય અને અભયદાન આપવું.દાનને પાત્ર બીજા લોકો જેવા કે શ્રેષ્ઠ આચરણવાળા વ્યક્તિઓ,બ્રહ્મચારી-વિદ્યા પ્રાપ્ત કરનાર,વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ તેમ જ સેવાવ્રતીઓને દાન આપવું.
કલેશપૂર્વકનું દાન એટલે કેવું?
જે દાન ધરણા કરવાથી,જીદ કરવાથી કે ભય દેખાડવાથી અથવા પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિના દબાણને વશ થઈને,વગર ઈચ્છાએ મનમાં વિષાદ અને દુઃખ અનુભવતાં નિરુપાય થઈને જે દાન આપવામાં આવે તેને કલેશપૂર્વકનું દાન કહે છે.
સાત્વિક દાન કોને કહેવાય?
“દાન આપવું જોઈએ”એવી કર્તવ્ય ભાવનાથી અને યોગ્ય દેશ અને યોગ્ય પાત્ર જોઇને,ઉપકાર કર્યાની ભાવના વગર,પ્રત્યુપકારની અપેક્ષા વગર,નિસ્વાર્થભાવે આપવામાં આવે તે સાત્વિક દાન.
રાજસી દાન કોને કહેવાય?
જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષા સાથે (દાનના બદલામાં સંસારિક કાર્યની સિદ્ધિ માટે)ફળને દ્રષ્ટિમાં રાખીને (માન,પ્રતિષ્ઠા અને સ્વર્ગ આદિની પ્રાપ્તિ કે રોગ નિવૃત્તિ માટે)કરવામાં આવતું દાન રાજસી છે.
તામસી દાન કોને કહેવાય?
દાન લેનારનો સત્કાર કર્યાં વગર તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશ કાળમાં કુપાત્રને (ઢોંગી,ધુતારા,હિંસા આચરનારા,બીજાની નિંદા કરનાર અને બીજાની જીવિકા પર તરાપ મારનાર,સ્વાર્થ સાધનાર,બનાવટી વિનય દેખાડનાર મદ્ય માંસ-અભક્ષ્ય ખાનાર,ચોરી,વ્યભિચારી જેવા કર્મ કરનાર ઠગ, જુગારી,નાસ્તિક) દાન એ તામસી દાન છે.